શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે, દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે, માખી અને મચ્છરોનો ઉપદ્રવ હોતો નથી. આમ, શિયાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે.
શિયાળાની સવાર એટલે સ્ફૂર્તિનો ખજાનો. ગામડામાં વહેલી સવારે વલોણાં અને ઘંટીઓના અવાજ સંભળાય છે. ખેડૂતો વહેલી સવારે ખેતરમાં જઇ ખેતીના કામમાં લાગી જાય છે.
શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે. યુવાનો સવારે દોડવા જાય છે. કેટલાક યુવાનો કસરત પણ કરે છે. વિદ્યાર્થીઓ વહેલી સવારે અભ્યાસ કરે છે. સવારે સૂર્યનો પ્રકાશ આપણાં તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે. તે નવાં ફૂટનારાં પાન માટે જાણે જગ્યા કરી આપે છે.
શિયાળો તંદુરસ્તી આપનારી ઋતુ છે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે. તેથી લોકો વસાણાં ખાય છે. શિયાળામાં જાતજાતનાં શાકભાજી મળી રહે છે. એટલે ઊંધિયું ખાવાની મજા આવે છે. શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. તે નાનાંમોટાં સૌનો પ્રિય તહેવાર છે અને બાળકોને તો પતંગ ચગાવવાની મજા જ મજા.
શિયાળામાં કયારેક અતિશય ઠંડી પડે છે. લોકો ઠંડીથી બચવા માટે સ્વેટર, કોટ, શાલ, મફલર અને ગરમ ધાબળા કે રજાઇનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ટાઢથી બચવા માટે તાપણું કરે છે.
શિયાળો તાજગી. તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે.
No comments:
Post a Comment